15.10.17

મૃત્યુના દેશમાં આંટો મારી આવનાર મહિલાની વાત



ઝીરો લાઈનઃ ગીતા માણેક





'ઓહ માય ગોડ! કેવું અદ્ભુત લાગી રહ્યું છે! હું મુક્તિ અને હળવાશનો અનુભવ કરી રહી છું. મારા શરીરમાં થઈ રહેલી પીડાનો મને કેમ અનુભવ નથી થઈ રહ્યો? એ બધી પીડા ક્યાં ગઈ? મારી આસપાસનું બધું જ દૂર જઈ રહ્યું છે અને છતાં મને ડર નથી લાગી રહ્યો. હું ભયભીત કેમ નથી? અરે વાહ, ડરનું તો ક્યાંય નામોનિશાન પણ નથી" કોમામાં સરકી ગયેલી અને ડોક્ટરોએ જેના માટે આશા મૂકી દીધી હતી એટલું જ નહીં પણ તેના અવયવો કામ કરતા બંધ થઈ ગયા છે એવું કહી દીધું હતું તે અનિતા મૂરજાની મૃત્યુને મળીને પાછી આવી છે અને પોતાનો અનુભવ તેણે આ રીતે જણાવ્યો.


એવું કહેવાય છે કે મોતના દેશથી કોઈ પાછું ફરતું નથી. આત્મા અમર છે એવું આપણે બધાએ સાંભળ્યું છે. દેહના મૃત્યુ પછી આપણું શું થાય છે એની આપણને ખબર નથી. પરંતુ સિંગાપોરમાં જન્મેલી, હોંગકોંગમાં ઉછરેલી અને ત્યાં જ રહેતી ભારતીય મૂળની સિંધી મહિલા અનિતા મૂરજાની મૃત્યુના દેશમાં જઈને પાછી ફરી છે. તેણે પોતાની વાત 'ડાઇંગ ટુ બી મી' પુસ્તકમાં કરી છે. આ અંગ્રેજી પુસ્તકની કુલ ૧૪ આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. આ પુસ્તકનો અનુવાદ વિશ્વની ૩૪ ભાષાઓમાં થઈ ચૂક્યો છે. વિશ્વભરમાં અનિતા મૂરજાનીને વક્તવ્યો આપવા, સેમિનારમાં ભાગ લેવા અને કેન્સર, એઈડ્સ જેવી ગંભીર માંદગીઓમાં પડેલા દર્દીઓ કે ડોક્ટરો દ્વારા પોતાની વાત કહેવા બોલવવામાં આવે છે. યુ-ટયૂબ તેમ જ ઇન્ટરનેટ પર વિદેશી મીડિયા અને નેશનલ જ્યોગ્રોફી, સીએનએન જેવી ટી.વી. ચેનલ્સ દ્વારા લેવામાં આવેલી તેની અનેક મુલાકાતો પણ ઉપલબ્ધ છે.


મૃત્યુના પ્રદેશમાં આંટો મારી આવેલી અઠ્ઠાવન વર્ષની અનિતા મૂરજાની આમ તો એક સર્વસામાન્ય મહિલા જેવી જ હતી. તેનો જન્મ હિન્દુસ્તાની મૂળના પણ સિંગાપોરમાં સ્થાયી થયેલા સિંધી માતા-પિતાના ઘરે થયો હતો.  પિતાના મૃત્યુના થોડા સમય બાદ અનિતા અને ડેની મૂરજાનીએ લગ્ન કરી લીધા. લગ્નને પાંચેક વર્ષ વીતી ગયા હતા એવામાં અનિતાની બેસ્ટ ફ્રેન્ડ સોનીને કેન્સરનું નિદાન થયું. એ જ અરસમાં ડેનીના બનેવીને પણ કેન્સર થયું.આ બંને કેન્સરને કારણે ધીમેધીમે મૃત્યુ તરફ સરકી રહ્યા હતા. કેન્સર વિશે જાણકારી મેળવવાના હેતુથી અનિતાએ બધી માહિતી ભેગી કરવા માંડી. પુસ્તકો, લેખ, ઇન્ટરનેટ પરથી માહિતી મળવા લાગી કે પેસ્ટિસાઈડ (પાક પર છાંટવામાં આવતી જંતુનાશક દવાઓ), માઇક્રોવેવ, પ્રિઝર્વેટીવ્ઝ, પ્રદૂષણ, પ્લાસ્ટિકના ડબ્બાઓમાં સંગ્રહ કરાયેલા ખોરાક, મોબાઈલ ફેન વગેરે વગેરેને કારણે કેન્સર થવાની સંભાવના રહે છે. આ બધું વાંચી-જાણીને તેને પણ ડર લાગવા માંડયો હતો કે મને પણ મારી બહેનપણી કે ડેનીના બનેવીની જેમ કેન્સર થશે તો? આ ભય સાથે તે જીવવા માંડી હતી.

તેનો ભય સાચો પુરવાર થયો. તેને જમણા ખભા પાસે એક ગાંઠની બાયોપ્સીનું રિઝલ્ટ એ જ આવ્યું જેનો અનિતાને ભય હતો- કેન્સર. આપણા શરીરમાં લિમ્ફેટિક સિસ્ટમ હોય છે, જેના દ્વારા શરીરમાંથી ટોક્સિન, નકામા પદાર્થો બહાર ફેંકાય છે. અનિતાને આ લિમ્ફેમા અર્થાત્ લિમ્ફેટિક સિસ્ટમનું કેન્સર થયું હોવાનું નિદાન થયું.

કેન્સર શબ્દ સાંભળીને કોઈપણ સર્વસામાન્ય વ્યક્તિની જેમ જ અનિતા પણ ફ્ફ્ડી ઊઠી. કિમોથેરપીથી સારવાર લેવાને બદલે ભારતમાં પૂણે ખાતે આયુર્વેદ અને યોગના જાણકાર પાસે સારવાર કરાવવા આવી. આ સારવારથી તેના શારીરિક સ્વાસ્થ્યમાં ખૂબ સુધારો પણ થયો. તે હોંગકોંગ પોતાના પ્રેમાળ પતિ પાસે પાછી ફરી....પણ સાથે-સાથે તેનો ભય પણ પાછો આવ્યો. પરિચિતો શંકા વ્યક્ત કરતા કે આવી રીતે તે કંઈ કેન્સર થોડું જ મટી જાય? તેમની આશંકાઓ અને ભય અનિતાના પોતાના બનવા માંડયા. કેન્સરે ફરી માથું ઊંચક્યું હતું. અનિતાની પોતાની માની અને પતિની પ્રેમભરી સારવાર કે મેડિકલ સાયન્સની બધી જ મદદ નકામી પુરવાર થઈ રહી હતી. કેન્સર જીતી રહ્યું હતું અને જીવન હારી રહ્યું હતું.

૨ ફેબ્રુઆરી ૨૦૦૬ના દિવસે અનિતા કોમામાં સરકી પડી. અનીતાને હોંગકોંગની મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં અગાઉ તે ક્યારેય ગઈ નહોતી. તેને જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ હાથ ખંખેરી નાખ્યા કે તેના અવયવો બંધ પડી રહ્યા છે અને હવે આ સ્થિતિમાં અમે કંઈ કરી શકીએ એમ નથી. બસ, થોડા કલાકોનો જ મામલો છે.

અનિતા કોમામાં હતી પણ તે આ બધું જ સાંભળી શકતી હતી.

અનિતાનાં પતિએ જો કે હાર માનવાનો ઇન્કાર કર્યો અને ડોક્ટરોને વિનંતી કરી કે તમે કોશિશ તો કરો.
તેણે વિનવણી કરી એટલે વરિષ્ઠ ઓનકોલોજિસ્ટ (કેન્સર સ્પેશિયાલિસ્ટ)ને બોલાવવામાં આવ્યા. પતિના આગ્રહને વશ ડોક્ટરે સારવાર શરૂ કરી પણ તેણે પેશન્ટની ફાઈલમાં નોંધ કરી દીધી હતી કે "અમે પેશન્ટના સંબંધીઓને જાણ કરી દીધી છે કે પેશન્ટનું બચવું અસંભવ છે." અનીતાને આઈસીયુમાં દાખલ કરવામાં આવી.

અનીતા બેહોશ હોવા છતાં તેની આસપાસ શું ચાલી રહ્યું છે, નર્સની વાતચીત એટલું જ નહીં પણ આઈસીયુની બહાર છેક નીચલા માળે ડોક્ટર તેના પતિ સાથે શું વાત કરી રહ્યા છે એ બધું તે સાંભળી શકતી હતી. જેના વિશે શબ્દશઃ પછીથી તેણે જણાવ્યું પણ હતું. એટલું જ નહીં પણ ભારતથી તેનો ભાઈ હોંગકોંગ આવવા નીકળી ગયો હતો અને તે ફ્લાઈટમાં બેઠો છે એ પણ તે જોઈ શકતી હતી. તે હવે થોડાક કલાકોની જ મહેમાન છે એવા નિષ્કર્ષ પર ડોક્ટરો પહોંચી ચૂક્યા હતા. તેનું શરીર મૃત્યુ તરફ તેજ ગતિથી જઈ રહ્યું હતું પણ અનીતા અભૂતપૂર્વ રાહતનો અનુભવ કરી રહી હતી. જોકે તેના પતિ અને માને દુઃખી, વ્યથિત અને વ્યાકુળ થતા જોઈને તેને થતું હતું કે તે કોઈક રીતે તેમને કહી શકે કે તમે આટલા બધા દુઃખી ન થાઓ કારણ કે હું બહુ જ સુખનો અનુભવ કરી રહી છું. પરંતુ તેનો અવાજ તેમના સુધી પહોંચી શકતો નહોતો.

મૃત્યુના દેશમાં પ્રવેશી ચૂકેલી પણ હજુ શરીર સાથે તેનો પાતળો તાંતણો જોડાયેલો હતો અને એ ગમે તે ઘડીએ તૂટી શકે એમ હતો એ પરિસ્થિતિમાં અનીતાએ જે કંઈ અનુભવ્યું એના વિશે પછીથી તેણે લખેલા પુસ્તક 'ડાઈંગ ટુ બી મી'માં વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. જેને માટે આધ્યાત્મમાં આત્મા, ચેતનતત્ત્વ કે પ્રાણ શબ્દ વપરાય છે એ સૂક્ષ્મરૂપમાં અનીતાએ પોતાને જાણી હતી. એ સૂક્ષ્મ જગતમાં તે પોતાના મૃત પિતાને જ નહીં પણ કેન્સરમાં મૃત્યુ પામેલી તેની બહેનપણીને પણ મળી હતી. એ સૂક્ષ્મ જગતમાં અનીતા એટલા આનંદ અને રાહતનો અનુભવ કરી રહી હતી કે તે બીમારીથી બેહાલ થયેલા શરીરમાં પાછી પ્રવેશવા નહોતી માગતી. એ તબક્કે તેણે નિર્ણય લેવાનો હતો કે પાછા આવવું કે પછી એ ઉંબરો ઓળંગી મૃત્યુના પ્રદેશમાં પ્રવેશી જવું. તેણે પાછા આવવાનો નિર્ણય કર્યો કારણ કે આ અનુભવ તે વહેંચવા માગતી હતી.
તેના પુસ્તકમાં તેણે લખ્યું છેઃ મારી પાસે પાછા આવવું કે ન આવવું એની પસંદગી હતી. જ્યારે મને અહેસાસ થયો કે સ્વર્ગ એ કોઈ જગ્યા નહીં પણ સ્થિતિનું નામ છે ત્યારે મેં પાછા આવવાનો નિર્ણય લીધો.


૩૦ કલાક જેવો સમય કોમામાં વિતાવીને અનિતા પોતાની મરજીથી શરીરમાં પુનઃ પ્રવેશી. શક્ય છે કે પહેલી નજરે આ વાત મનઘડત લાગે કે માનવામાં ન આવે પરંતુ ૩૦ કલાક કોમામાં રહ્યા બાદ હોશમાં આવતાંની સાથે જ તેણે સામે ઊભેલા પુરુષને ડો. ચેન કહીને સંબોધ્યા તો તે પણ ચક્તિ થઈ ગયા, કારણ કે અગાઉ ક્યારેય તે આ ડોક્ટરને મળી નહોતી. હોસ્પિટલમાં આવી ત્યારે તે બેહોશ હતી અને છતાં ડો. ચેને તેના પતિ સાથે જે વાત કરી હતી એ તેણે અક્ષરઃ કહી દીધી. અગાઉ કહ્યું એમ તેમની વાતચીત આઈસીયુમાં નહીં પણ ભોંયતળિયે થઈ હતી. કોમામાંથી બહાર આવ્યા બાદ તે ચમત્કારિક ગતિથી સ્વસ્થ થઈ રહી હતી. ત્રણ દિવસમાં જ તેના શરીરમાંની કેન્સરની અસંખ્ય ગાંઠો ઓગળવા માંડી હતી અને છ દિવસમાં તો તે હોસ્પિટલના કોરીડોરમાં ચાલી શકતી હતી. આ જ અરસામાં ડોક્ટરે તેનો બોન મેરો ટેસ્ટ કર્યો. આ ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું ત્યારે ડોક્ટર હાંફ્ળાફંફ્ળા તેના રૂમમાં આવ્યા. તેમણે કહ્યું કે ટેસ્ટના રિપોર્ટ આવ્યા છે અને એમાં કેન્સર દેખાતું નથી. ડોક્ટર એ સ્વીકારવા જ તૈયાર નહોતા કે આવું બની શકે! તેમનું મેડિકલ જ્ઞાન તેમને કહી રહ્યું હતું કે આટલી ગંભીર રીતે આખા શરીરમાં પ્રસરી ચૂકેલું કેન્સર માત્ર છ દિવસમાં કેવી રીતે ગાયબ થઈ શકે! તેમણે અનીતા પર જાતભાતના ટેસ્ટ કરી અને બધાનું જ રિઝલ્ટ નકારાત્મક આવ્યું. એટલું જ નહીં પણ કેન્સરને કારણે તેની ત્વચા પર રીતસર જખમો થયા હતા એ પણ રૂઝાઈ ગયા હતા. અનીતાના આખા શરીરમાં લીંબુના સાઈઝની કેન્સરની ગાંઠો હતી તે કઈ રીતે ઓગળી ગઈ હશે એ જાણવા માટે જગતભરની કેન્સર ઇન્સ્ટિટયૂટમાં તેનો કેસ મોકલવામાં આવ્યો હતો પણ હજુ સુધી આનો કોઈ તાર્કિક અને મેડિકલ જવાબ મળ્યો નથી.

અલબત્ત આના જવાબ અનીતા મૂરજાની પાસે છે પણ એની માટે તેની પાસે કોઈ પુરાવા નથી. અનીતાએ પોતાના આ અનુભવો તેમ જ મૃત્યુના પ્રદેશમાં જિંદગી અને જગત વિશે જે જાણ્યું અને સમજી છે એનો ચિતાર 'ડાઈંગ ટુ બી મી' પુસ્તકમાં લખ્યો છે. 

એ હકીકત છે કે મોટાભાગના રોગમાં વ્યક્તિનું મન અને તેની માનસિકતા બહુ મોટો ભાગ ભજવે છે. અનીતા મૂરજાનીએ કેન્સર વિશેનો પોતાનો અનુભવ પુસ્તકમાં લખ્યો છેઃ 'હું પણ અગાઉ માનતી હતી કે મેં કરેલા ખોટા કર્મોની, પાપની સજા મને કેન્સરના રૂપમાં મળી છે' પરંતુ અનીતાનો અનુભવ છે કે એવું નથી. દરેક ક્ષણમાં અનંત સંભાવનાઓ રહેલી છે અને એ સમયે હું ક્યાં હોઉં છું એના આધારે મારા નિર્ણયો, મારી પસંદગી અને મારા વિચારોનો સરવાળો થાય છે. અનીતા મૂરજાનીના કિસ્સામાં તેને કેન્સર થવા પાછળનું કારણ તેના પોતાના જ શબ્દોમાં કહીએ તો તેના બહુ બધા ડર હતા જે કેન્સરના રોગના રૂપમાં વ્યક્ત થઈ રહ્યા હતા. અનીતાની સૌથી નજીકની બહેનપણીને તેણે કેન્સરને લીધે વેદના અને પીડા અનુભવતા જોયા હતા. આ તબક્કે તેના મનમાં એ ડર ખૂબ જોરથી બેસી ગયો હતો કે ક્યાંક મને તો કેન્સર નહીં થાયને? મારે પણ આવી પીડાનો સામનો નહીં કરવો પડેને? આ લાગણીને તેણે ભીતર ઘૂંટાવા દીધી હતી અને પોતે ફ્ફ્ડતી રહેતી હતી એની કબૂલાત તેણે પુસ્તકના આગલા હિસ્સામાં કરી જ છે.

મૃત્યુના ઉંબરાને અડીને આવેલી અનીતા મૂરજાની જે વાતો કહી છે એ આપણામાંના ઘણાએ અગાઉ ક્યાંકને ક્યાંક કોઈ સંત-મહાત્મા કે શાસ્ત્રોમાં અથવા તત્ત્વજ્ઞાનના પુસ્તકો કે લેખમાં વાંચી અને સાંભળી હશે. પરંતુ અનીતા આપણા જેવી જ એક સર્વસામાન્ય વ્યક્તિ હતી અને તેણે જે અલૌકિક અનુભવ કર્યો એ પછીના તેના તારણો લગભગ એવા જ છે.


તે પાછી આવી ત્યારે તેને અહેસાસ થયો કે પોતાના સહિત લગભગ બાકીના બધા જ લોકો પૈસા અને ભૌતિક સુખસગવડોને મેળવવાની દોડ તેમ જ સ્પર્ધામાં કેટલા બધા તનાવમાં જીવે છે અને સંબંધો, હુન્નર, સર્જનાત્મકતા, પોતાની આગવી ઓળખ એ બધાની સદંતર અવગણના કરે છે.

અનીતા મૂરજાની લખે છે કે મૃત્યુના આ અનુભવ પછી એક સંદેશો જે હું લઈને આવી છું તે એ છે કે,


આપણે બધા જ પ્રેમનું જ મૂર્ત સ્વરૂપ છીએ,
આપણા હાર્દમાં આપણે પ્રેમ જ છીએ
અને આપણે ભવ્ય તેમ જ દિવ્ય છીએ.
આપણી ભીતરથી જ આપણને માર્ગદર્શન મળતું રહે છે
પણ આપણે એના પર ભરોસો કરતા નથી.
પોતાના સંસારના કેન્દ્રમાં દરેક વ્યક્તિ પોતે જ હોય છે
અને એટલે તે વ્યક્તિ જે અનુભવે છે એની સીધી અસર તેના સંસાર પર પડે છે.
જેમ કે પરિવારમાં કોઈ એક વ્યક્તિ ગુસ્સામાં હોય તો એની અસર તેના આખા પરિવાર પર પડે છે.
જો વ્યક્તિ પોતે ખુશ હોય તો એનો પડઘો પણ ખુશીનો જ હોવાનો.
જો હું પોતાની જાતને પ્રેમ કરું તો બધા મને પ્રેમ કરશે.
જો હું શાંત હોઈશ તો મારી આસપાસનું બધું જ એ શાંતિનું પ્રતિબિંબ બની રહેશે.

 


અનીતા કહે છે કે અગાઉ જો મારા જીવનમાં કશુંક એવું આવતું જે મને તકલીફ્દાયક હોય તો હું એને સ્થૂળ સ્તર પર બદલવાનો પ્રયાસ કરતી. પરંતુ હવે હું મારી જાતને તપાસું છું કે હું તનાવમાં, ઉદ્વેગમાં કે દુઃખી તો નથી ને. હું ભીતર જઈને મારી અંદર એ સ્થિતિને બદલવાનો પ્રયાસ કરું છું. એના માટે હું મારી જાત સાથે સમય વીતાવું છું, કુદરતના સાનિધ્યમાં ચાલવા નીકળી પડું છું અથવા એવું સંગીત સાંભળું છું જે મને મારા કેન્દ્ર પર પાછી લાવે અને હું શાંત થાઉં, વિખેરાયેલું મારું મન કેન્દ્રિત થાય. મેં એવું નોંધ્યું છે કે જ્યારે હું આવું કરું છું ત્યારે જેમ-જેમ ભીતર બદલાવ આવે એમ-એમ મારા બાહ્ય જગતમાં પણ એ પ્રમાણેનો ફેરફર થવા માંડે છે. બાહ્ય જગતમાં આ ફેરફર મારા એ અંગેના સક્રિય પ્રયાસો વિના જ થવા માંડે છે. અમુક અવરોધ તો પોતાની જાતે જ દૂર થઈ જાય છે.


તેને પોતાને કેન્સર શા માટે થયું હતું એનું વિશ્લેષણ તેણે પાછા ર્ફ્યા બાદ કર્યું હતું. આપણામાંના ઘણા લોકોની જેમ અનીતાને પણ નિષ્ફ્ળ થવાનો, લોકો શું કહેશે, તેમને હું નહીં ગમું તો, મારી આસપાસના લોકોની મારી પાસે જે અપેક્ષા છે એ હું પૂરી તો કરી શકીશને જેવા અનેક ભયથી તે પીડાતી રહેતી હતી. અનીતા મૂરજાની લખે છે, હું સતત લોકોના સારા પ્રમાણપત્રને ઝંખતી રહેતી હતી. મારા પોતાના સિવાય મને બધાની સંમતિની ચિંતા રહેતી હતી. મને બીમારીઓનો ભય હતો અને ખાસ કરીને કેન્સરનો. હું જીવન જીવતાં ડરતી હતી અને મૃત્યુથી ફ્ફ્ડતી હતી. મને કેન્સર થયા બાદ આમ તો દેખીતી રીતે હું આ રોગ સામે લડી રહી હતી પણ મનોમન મેં કેન્સર એટલે મૃત્યુદંડ એવું મેં સ્વીકારી લીધું હતું. મૃત્યુનો મને અત્યંત ડર લાગી રહ્યો હતો.


જ્યારે મૃત્યુના પ્રદેશમાં હું પહોંચી ત્યારે મને અહેસાસ થયો કે હું મારી જાત સાથે કેટલી કઠોરતાથી વર્તી હતી. બીજું કોઈ નહીં હું પોતે જ મારી જાતને આરોપી બનાવતી હતી અને મૂલ્યાંકન કરતી રહેતી હતી. મને સમજાયું કે સૌથી પહેલાં તો મારે જ મારી જાતને માફ્ કરવાની હતી. એ અલૌકિક વિશ્વમાં મને સમજાયું કે હું તો આ બ્રહ્માંડનું સુંદર સંતાન છું અને મને સૃષ્ટિ બેશર્ત પ્રેમ કરી રહી છે. એ પ્રેમ પામવા માટે મારે કંઈ ભીખ માગવાની કે પ્રાર્થનાઓ કે કંઈ જ કરવાની જરૂર નથી. મને અહેસાસ થયો કે મેં પોતે જ મારી જાતને ક્યારેય પ્રેમ કર્યો નહોતો, મેં પોતાનું જ મૂલ્ય સમજ્યું નહોતું કે મારા આત્માની સુંદરતાને ક્યારેય પિછાણી નહોતી. આ દિવ્ય અને ભવ્ય બેશર્ત પ્રેમ મારા પર વરસતો જ હતો પણ દૈહિક રૂપમાં હું જ તેને મારા સુધી પહોંચવા નહોતી દેતી અને એને હડસેલતી હતી.
આ પ્રેમનો અહેસાસ કરવા, એ પ્રત્યે સજાગ થવા મને કોઈ રોકતું હોય તો એ મારું પોતાનું મન- મારા પોતાના વિચારો અને હું ક્ષુદ્ર તેમ જ ક્ષુલ્લક છું એવી મારી માન્યતા હતી.

અનીતા મૂરજાની આમ તો તમારા અને મારા જેવી તદ્દન સામાન્ય વ્યક્તિ જ હતી પણ કોઈ અકળ કારણસર તેને દિવ્ય અનુભવ પ્રાપ્ત થયો જેમાં તે મૃત્યુ અને જિંદગી વચ્ચેની પાતળી રેખા ઓળંગીને પાછી ફરી. પાછા ફરવાની પસંદગી કર્યા બાદ તેણે મેળવેલા સમજણના આ મોતી આ પુસ્તકના પાનાંઓ પર વેરાયેલા છે. તેની આ સમજણ અને અનુભવને તે વિશ્વભરમાં ફરી -ફરીને વહેંચી રહી છે.